
Rajkot Crime News : રાજકોટ શહેરમાં હત્યાની વધુ એક ઘટના બની છે. યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાસે આરએમસી ક્વાર્ટરમાં રહેતાં માનસિક અસ્વથ ૪૬ વર્ષના મહિલાને તેના ૨૨ વર્ષના દિકરાએ ધાબળાથી ગળાટૂંપો દઇ પતાવી દેતાં ચકચાર મચી ગઇ છે. હત્યા બાદ તેણે ઘટનાની જાણ મિત્રને કરી હતી. મિત્ર મારફત પોલીસને જાણ થતાં યુનિવર્સિટી પોલીસે હત્યારા પુત્રને સકંજામાં લઇ પુછતાછ કરતાં તેણે કહ્યું હતું કે-માતા વીસેક વર્ષથી માનસિક બિમાર હતાં, તેમને વૃધ્ધાશ્રમમાંથી હું ઘરે લાવ્યા બાદ સારવાર ચાલુ કરાવતાં થોડુ સારુ થયું હતું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે ખુબ તોફાન કરતાં હતાં. રાતે ગમે ત્યારે જાગીને મારકુટ કરી લેતાં, નિર્વષા થઇ જતાં અને મારામારી કરવા માંડતાં હતાં. આથી હું ખુબ કંટાળી ગયો હતો. આજે પણ માતાએ આવુ કરતાં મને ગુસ્સો ચડતાં મેં તેમને ધાબળાથી ગળાટૂંપો દઇ દેતાં તેમનું મૃત્યુ થયું હતું.
દિકરાના હાથે માતાની હત્યા થયાની ઘટનાની જાણવા મળેલી માહિતી અનુસાર શહેરના યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાસે આવેલા આર.એમ.સી. ક્વાર્ટર નં. ૧૦૩માં રહેતાં નિલેષ જસવંતગર ગોસાઇ (ઉ.વ.૨૨) નામના યુવાને તેના માતા જ્યોતિબેન જસવંતગર ગોસાઇ (ઉ.વ.૪૬)ની હત્યા કરી છે તેવી જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એમ. જી. વસાવા, પીઆઇ સી. એચ. જાદવ, રાઇટર રાહુલભાઇ રાઠોડ, કોન્સ. કિશોરભાઇ પરમાર, પીએસઆઇ બી. આર. ભરવાડ, પીએસઆઇ ડી.આર. રત્નુ, એએસઆઇ સમીરભાઇ શેખ, હેડકોન્સ. રઘુવીરસિંહ વાળા, મહિપાલસિંહ, વનરાજભાઇ, ક્રિપાલસિંહ, ગોપાલસિંહ,, મૈસુરભાઇ, પ્રાદિત્યસિંહ, દિવ્યરાજસિંહ સહિતની ટીમે પહોંચી કાર્યવાહી કરી હતી.
ઘટના સ્થળે હાજર ૧૦૮ ઇએમટી તબિબ ઘનશ્યામભાઇએ જ્યોતિબેનને મૃત જાહેર કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરી હતી. ઘટના વિશે માહિતી આપતાં પીઆઇ એમ. જી. વસાવા, રાહુલભાઇ રાઠોડ સહિતે જણાવ્યું હતું કે નિલેષ ગોસાઇએ પોતાના માતાની હત્યા કર્યા બાદ મિત્રને આ ઘટનાની જાણ કરી હતી. મિત્રએ અન્ય વ્યક્તિ મારફત પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે તપાસ કરતાં જ્યોતિબેન જસવંતગર ગોસાઇનો મૃતદેહ તેમના ઘરમાં ભોંય તળીયે જોવા મળ્યો હતો. આરોપી પુત્ર નિલેષ પણ ત્યાં હાજર હતો. તેને સકંજામાં લઇ પુછતાછ કરતાં તેણે હત્યાની કબુલાત આપી હતી.
નિલેષે પોલીસને જણાવ્યું હતું કે હું દોઢ વર્ષનો હતો ત્યારે માતા-પિતાના છુટાછેડા થઇ ગયા હતાં. માતા જ્યોતિબેન વીસેક વર્ષથી માનસિક બિમારી ધરાવતાં હતાં. છુટાછેડા બાદ હું માતા સાથે રહેતો હતો. પણ માતાની માનસિક સ્થિતિ યોગ્ય ન હોવાથી તેમને વૃધ્ધાશ્રમમાં રખાયા હતાં. જ્યારે મને કચ્છના હોમ ફોર બોયઝ-ચિલ્ડ્રન હોમમાં મોકલી દેવાયો હતો. ત્યારબાદ હું પુખ્તવયનો થતાં ચિલ્ડ્રન હોમમાંથી બહાર આવ્યો હતો. માતાને પણ હું મારી સાથે લાવ્યો હતો. અઢી વર્ષથી હું તેમની બિમારીની સારવાર કરાવતો હતો. વચ્ચે તેમની તબિયતમાં સુધારો પણ થઇ ગયો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી માતાની હાલત વધુ ખરાબ થઇ ગઇ હતી. અમે જે ક્વાર્ટરમાં રહીએ છીએ તે ભાડાનું છે. અમારે આગળ પાછળ કોઇ ન હોઇ અમે મા દિકરો એકલા જ રહેતાં હતાં.
નિલેષે આગળ જણાવ્યુ઼ હતું કે માતા દિવસે તો ઠીક રાતે પણ નિરાંત લેતાં નહોતાં. રાતે ગમે ત્યારે જાગી જતાં હતાં અને મારી સાથે હાથાપાઇ કરવા માંડતા હતાં. મને મારકુટ કરી લેતાં હતાં. રાત્રીના સમયે તેમના તોફાન ખુબ વધી જતાં હતાં. તેઓ ઘણીવાર તો પોતાના કપડા પણ કાઢી નાખતા હતાં અને મને મારકુટ કરવા માંડતા હતાં. આજે વહેલી સવારે પણ આ રીતે તેમણે તોફાન ચાલુ કરતાં મને ખુબ ગુસ્સો આવ્યો હતો અને ધાબળાથી તેમને ગળાટૂંપો દઇ હત્યા કરી નાખી હતી. એ પછી મેં મારા મિત્રને જાણ કરી હતી.
પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ દસેક વર્ષ પહેલા નિલેષ તેના માતાને લઇને કચ્છ રહેતાં પિતાને મળવા ગયો હતો. પરંતુ તેમણે બે દિવસ આશરો આપ્યા બાદ બંનેને નીકળી જવા કહેતાં ત્યાંથી બંને પરત આવી ગયા હતાં. પીઆઇ એમ. જી. વસાવાના જણાવ્યા અનુસાર આ બનાવમાં હત્યાનો ભોગ બનનાર કે હત્યા કરનારના બીજા કોઇ નજીકના સગા સંબંધી ન હોઇ પોલીસે સરકાર તરફે ફરિયાદી બની નિલેષ ગોસાઇ વિરૂધ્ધ તેની માતાની હત્યાનો ગુનો નોંધવા તજવીજ કરી છે. નિલેષ બાવીસ વર્ષનો છે અને મેટોડાની કંપનીમાં પ્રાઇવેટ નોકરી કરે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , rajkot-son-murder-mentally-ill-mother-after-taken-whatsapp-status-and-write-i-kill-my-mom-loss-my-life-sorry , Rajkot : રાજકોટમાં માનસિક બીમાર માતાને પુત્રએ ગળાટૂંપો દઈ પતાવી દીધા : હત્યા બાદ સ્ટેટસમાં લખ્યું, "આઈ કિલ માય મોમ, લોસ માય લાઇફ, સોરી મોમ"